તુલસીદલ

સ્વ. મૂળશંકર ત્રિવેદી રચિત અને અન્ય સ્તુતિઓ

કાનુડાજી વાત કોને જઇને કહીયે March 17, 2007

Filed under: મૂળશંકર ત્રિવેદી — સુરેશ @ 1:00 am

કાનુડાજી વાત કોને જઇ કહીયે, તારા વિના શરણું બીજા કોનું લઇએ,
કોલ તેં તો લીધો આ બાળની પાસે, હવે શું વલશે દૂર નાસે…… કાનુડાજી.
કહ્યું ભક્તિ કરજે તું જગતની માંહીં , દર્શન દઇશ પ્રગટ થઇ ત્યાંહીં …… કાનુડાજી.
હવે તું ભૂલ્યો ને માયામાં પડીયો, કામક્રોધે ઘેરીને મુજને જકડીયો…… કાનુડાજી.
મોહ કહે છોડું કદી ન હું તુજને, લોભ બહુ ચોંટી પડ્યો છે મુજને…… કાનુડાજી.
જગત સૌ સ્વાર્થ થકી રે જડીયું, તારું રૂપ નજરે મને નહિ પડીયું…… કાનુડાજી.
મોટી મોટી વાત કરે છે સર્વે, એક એક વાત કરે ભરી ગર્વે…… કાનુડાજી.
પાપ હશે પૂરું તે એવું હું દેખું, તુજ વિણ અન્ય સર્વેને લેખું…… કાનુડાજી.
ગુરુ વિણ સરશે નહિ આ કામ, તુજ દર્શન કેરી ભીડી છે હામ …… કાનુડાજી.
લીધો કોલ ગુરુ બની ઘેર આવો, દાસને બંધનમાંથી છોડાવો…… કાનુડાજી.
તુજ વિણ અવર ગુરુ નવ માંગું, નિશ દિન અજપા જાપ હું જાપું…… કાનુડાજી.
લાજ તને સોંપી છે આજથી મારે, ભલે નાવ ડુબાડે કે તારે…… કાનુડાજી.
જેવી તારી મરજી હોય તેમ કરજે, એક્વાર અરજી હૃદયમાં ધરજે…… કાનુડાજી.
તારા નામે ડૂબશે નાવ જો મારું, તુજને લાંછન લાગશે સારું…… કાનુડાજી.
બોલ્યું વેણ ફરે જગતના લોક, વચન તારું થાય કદી ના ફોક…… કાનુડાજી.
વિશ્વાસ આપી હવે કેમ ભૂલે, આયુષ્ય શું મારું બધું આમ ડૂલે…… કાનુડાજી.
કદિ નહિ છોડું હું તો તારું નામ, પછી તારે કરવું પડશે સહુ કામ …… કાનુડાજી.
દયા કરી દાસને દર્શન આપો, મુળજી કેરું દુખઃડું આટ્લું કાપો…… કાનુડાજી.

 

One Response to “કાનુડાજી વાત કોને જઇને કહીયે”

  1. વિશ્વાસ આપી હવે કેમ ભૂલે, આયુષ્ય શું મારું બધું આમ ડૂલે.
    કદિ નહિ છોડું હું તો તારું નામ, પછી તારે કરવું પડશે સહુ કામ.

    DADAJI,
    YOUR FAITH KEEPS YOU AND THE TRIVEDIS ALIVE.


Leave a Reply