તુલસીદલ

સ્વ. મૂળશંકર ત્રિવેદી રચિત અને અન્ય સ્તુતિઓ

જીવન અંજલિ થાજો ! July 15, 2007

Filed under: અન્ય સ્તુતિઓ — dhavalrajgeera @ 2:39 am

  જીવન અંજલિ થાજો !  મારું જીવન અંજલિ થાજો !

  ભૂખ્યાં કાજે ભોજન બનજો, તરસ્યાનું જળ થાજો;

  દીનદુ:ખિયાનાં આંસુ લો’તાં અંતર કદી ન ધરાજો!

  મારું જીવન અંજલિ થાજો !

  સતની  કાંટાળી  કેડી  પર  પુષ્પ બની પથરાજો;

  ઝેર જગતનાં જીરવી જીરવી અમૃત ઉરનાં પાજો!

  મારું જીવન અંજલિ થાજો ! 

  વણથાક્યા ચરણો મારા નિત તારી સમીપે ધાજો

   હૈયાના  પ્રત્યેક   સ્પન્દને   તારું  નામ  રટાજો !

   મારું જીવન અંજલિ થાજો !

   વમળોની વચ્ચે નૈયા મુજ  હાલકલોલક થાજો;

   શ્રધ્ધા કેરો દીપક મારો નવ કદીયે ઓલવાજો!

  મારું જીવન અંજલિ થાજો !

                                                        

   કરસનદાસ માણેક

 

વહારે આવો July 14, 2007

Filed under: મૂળશંકર ત્રિવેદી — સુરેશ @ 2:00 am

દીનદયાળ મારા નાથ, વહારે આવો વાલમા રે…
વીનવું છું જોડી બે હાથ, વહારે આવો વાલમા રે….

દીનબાળ વીનવું હું નેત્રભરી રે,
હું તો નાનેરું બાળ, કૃપા કરજો દયાળ ….. વહારે આવો…

બોડાણાની વહારે પ્રભુ ચઢ્યા રે,
દ્વારકાથી આવીયા નાથ તોળાયા વળી સાથ ….. વહારે આવો…

નહીં આવે તો બીરદ તારું જશે રે,
દાસને કરો ન ઉદાસ, પુરો મારી આશ ….. વહારે આવો…

બીરદ તારું તું પાળજે રે,
મુળજીના પુરજે કોડ, પ્રભુ શ્રી રણછોડ ….. વહારે આવો…

 

પગ મને ધોવા દ્યો રઘુરાય – દુલા ભાયા ‘કાગ July 14, 2007

Filed under: અન્ય સ્તુતિઓ — dhavalrajgeera @ 12:02 am

 

‘પગ તમે ધોવા દ્યો રઘુરાયજી…
પ્રભુ મને શક પડ્યો મનમાંય, પગ મને ધોવા દ્યો’ – ટેક

રામ લખમણ જાનકી એ, તીર ગંગાને જાય જી (૨);
          નાવ માંગી નીર તરવા (૨),
                          ગુહ બોલ્યો ગમ ખાઈ. પગ મને. ૧

’રજ તમારી કામણગારી, નાવ નારી થઈ જાય જી (૨);
         તો અમારી રંક-જન ની (૨),
                          આજીવિકા ટળી જાય, પગ મને. ૨

જોઈ ચતુરતા ભીલ જનની, જાનકી મુસકાય જી (૨)
         ’અભણ કેવું યાદ રાખે (૨),
                          ભણેલ ભૂલી જાય !, પગ મને. ૩

’આ જગતમાં દીનદયાળુ ! ગરજ-કેવી ગણાય જી; (૨)
         ઊભા રાખી આપને પછી (૨),
                          પગ પખાળી જાય.’ પગ મને. ૪

નાવડીમાં બાવડી ઝાલી, રામની ભીલરાય જી(૨);
         પાર ઊતરી પૂછીયું ‘તમે (૨),
                          શું લેશો ઉતરાઈ.’ પગ મને. ૫

’નાયીની કદી નાયી લ્યે નઈ, આપણે ધંધાભાઈ જી (૨);
         ’કાગ’ લ્યે નહિ ખારવાની (૨),
                          ખારવો ઉતરાઈ.’ પગ મને. ૬

 

અખો ભગત July 10, 2007

Filed under: અન્ય સ્તુતિઓ — dhavalrajgeera @ 1:53 pm

તિલક કરતાં ત્રેપન વહ્યાં, ને જપમાળાનાં નાકાં ગયાં;
તીરથ ફરી ફરી થાકયાં ચરણ, તોય ન પહોંચ્યો હરિને શરણ;
કથા સુણી સુણી ફૂટ્યા કાન, અખાતોય ન આવ્યું બ્રહ્મજ્ઞાન.

એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ;
પાણી દેખી કરે સ્નાન, તુલસી દેખી તોડે પાન;
તે તો અખા બહુ ઉત્પાત, ઘણા પરમેશ્વર એ ક્યાંની વાત?

જો જો રે મોટાના બોલ, ઊજડ ખેડે બાજ્યું ઢોલ.
અંધ અંધ અંધારે મળ્યા, જ્યમ તલમાં કોદરા ભળ્યા;
ન થાયે ઘેંસ કે ન થાય ઘાણી, કહે અખો એ વાતો અમે જાણી.

(ખેડે=ગામમાં, ન થાયે ઘેંસ કે ન થાય ઘાણી= ઘાણી એટલે તેલી બી પીલી તેલ કાઢવાનું સાધન; કોદરા જુદા હોય તો એની ઘેંશ થાય અને તલ જુદા હોય તો પીલીને તેલ કાઢી શકાય. પણ જો બંને ભેગા થયા હોય તો ન ઘેંશ બની શકે, ન તેલ કાઢી શકાય. અર્થાત્ કશા કામના નહીં )

દેહાભિમાન હૂતો પાશેર, તે વિદ્યા ભણતાં વધ્યો શેર;
ચર્ચાવાદમાં તોલે થયો, ગુરુ થયો ત્યાં મણમાં ગયો.
અખા એમ હલકાથી ભારે હોય, આત્મજ્ઞાન મૂળગું ખોય.
(પાશેર=સવાસો ગ્રામ, શેર=પાંચસો ગ્રામ, તોલો=પાંચ કિલોગ્રામ, મણ=વીસ કિલોગ્રામ ) 

સસાશિંગનું વહાણ જ કર્યું, મૃગતૃષ્ણામાં જઈને તર્યું;
વંધ્યાસુત બે વાણે ચઢ્યા, ખપુષ્પ વસાણાં ભર્યાં.
જેવી શેખસલીની ચાલી કથા,અખા હમણાં ને આગળ એવા હતા.
(સસલાના શિંગડાનું વહાણ, મૃગજળમાં તરવું, વાંઝણીના પુત્રો અને આકાશનાં ફૂલો- અશક્ય અને તરંગી વાતોના દૃષ્ટાંત વડે અગાઉ અને આજે કેવા જૂઠાણાં ચાલ્યા કર્યાં છે એ વાત અખાએ અવળવાણી વડે વેધકતાથી સમજાવી છે.)

આંધળો સસરો ને સરંગટ વહુ, એમ કથા સાંભળવા ચાલ્યું સહુ.
કહ્યું કાંઈ ને સમજ્યું કશું, આંખનું કાજળ ગાલે ઘસ્યું.
ઊંડો કૂવો ને ફાટી બોક, શીખ્યું-સાંભળ્યું સર્વે ફોક.

( સરંગટ=ઘૂમટો તાણેલી, બોક= ડોલ )

દેહાભિમાન હૂતો પાશેર, તે વિદ્યા ભણતાં વધ્યો શેર;
ચર્ચાવાદમાં તોલે થયો, ગુરુ થયો ત્યાં મણમાં ગયો.
અખા એમ હલકાથી ભારે હોય, આત્મજ્ઞાન મૂળગું ખોય.
(પાશેર=સવાસો ગ્રામ, શેર=પાંચસો ગ્રામ, તોલો=પાંચ કિલોગ્રામ, મણ=વીસ કિલોગ્રામ ) 

I LOVE “AKHO BHAGAT.”

અખો ભગત (આશરે ૧૫૯૧ થી ૧૬૫૬) અમદાવાદ પાસેના જેતલપુરના વતની હતા. વ્યવસાયે સોની. દુનિયાના દંભ અને પાખંડ દેખીને એમનો માંહ્યલો ઊકળી ઊઠતો હતો. કડવા અનુભવોના કારણે એમણે વૈરાગ્ય લઈ ગુરુની શોધ આદરી હતી પણ ધર્મસ્થાનોમાં ય આડંબર જ મળ્યો, સાચા ગુરુ ન મળ્યા. ચોપાઈ છંદમાં લખેલા એમના કાવ્યો છ પદ (ચરણ)ના હોવાથી છપ્પા તરીકે ઓળખાય છે. (છપાઈ ઉપરથી છપ્પો, ‘પાઈ’ એટલે પાય, ચરણ, પગ, પંક્તિ) આ છપ્પામાં તીખી-તમતમતી વાણીમાં એમણે આત્માને વીંધી નાંખે અને આંખના પડળ ઉઘાડી દે એવા મર્મવેધી કટાક્ષ કર્યા છે. અખા ભગત આપણી ભાષાના ઉચ્ચ કોટિના જ્ઞાની કવિ છે. આત્માના અનુભવને અને જ્ઞાનને એમણે ‘અખેગીતા’ , ‘પંચીકરણ’, ‘ગુરુ-શિષ્ય સંવાદ’, ‘ચિત્તવિચાર સંવાદ’ અને ‘અનુભવબિંદુ’ જેવી કાવ્યરચનામાં કલાત્મકરીતે નિરૂપ્યાં છે.

 

બાળક તારો રોગી રે July 8, 2007

Filed under: મૂળશંકર ત્રિવેદી — સુરેશ @ 7:00 pm

છે બાળક તારો રોગી રે વૃંદાવનવાસી
તું તો છે ઔષધજોગી રે વૃંદાવનવાસી… છે બાળક…

શ્રધ્ધાથી ફાકી ખાતો, પણ રોગ નથી પકડાતો,
સંતાપ મને બહુ થાતો રે વૃંદાવનવાસી… છે બાળક…

નાડી ને નીદાન જાણે, પણ દીલમાં કેમ ન આણે,
ઝટ લાવી દે ઠેકાણે રે વૃંદાવનવાસી… છે બાળક…

ઔષધની તારી ઝોળી, ભરપુર છે વીધવીધ ગોળી,
ઝટ લાવી દે પાણીમાં ઘોળી રે વૃંદાવનવાસી… છે બાળક…

અવ એવી ગોળી આપો, સૌ રોગ તણાં મુળ કાપો,
જીવનમાં શાંતી સ્થાપો રે વૃંદાવનવાસી… છે બાળક…

બાળક જો રોગી રહેશે, તો વૈદ તને કોણ કે’શે?
તુજ બાળકને દુખ રહેશે રે વૃંદાવનવાસી… છે બાળક…

પરહેજ તણું બળ દેજે, કહેવાનું હોય તે કહેજે,
મુળજીને ગોદે લેજે રે વૃંદાવનવાસી… છે બાળક…