તુલસીદલ

સ્વ. મૂળશંકર ત્રિવેદી રચિત અને અન્ય સ્તુતિઓ

માધવ ક્યાંય નથી મધુવનમાં ! –હરીન્દ્ર દવે. September 7, 2007

Filed under: અન્ય સ્તુતિઓ — dhavalrajgeera @ 2:50 am

માધવ ક્યાંય નથી મધુવનમાં !     –હરીન્દ્ર દવે.

માધવ ક્યાંય નથી મધુવનમાં !
ફૂલ કહે ભમરાને, ભમરો વાત વહે ગુંજનમાં…….
                      માધવ ક્યાંય નથી.
 

કાલિંદીના જળ પર ઝૂકી પૂછે કદંબ ડાળી,
“યાદ તને, બેસી અહીં વેણુ વાતા’તા
                                વનમાળી ?”
લહર વમળને કહે, વમળ એ વાત સ્મરે સ્પંદનમાં…
                      માધવ ક્યાંય નથી.
 

કોઈ ન માગે દાણ, કોઈની આણ ન વાટે ફરતી,
હવે કોઈ લજ્જાથી હસતાં રાવ કદી ક્યાં કરતી ?
નંદ કહે જશુમતીને, માતા વ્હાલ ઝરે લોચનમાં…..
                       માધવ ક્યાંય નથી.
 

શિર  પર  ગોરસ  મટુકી  મારી  વાટ ન  કેમે ખૂટી,
અબ લગ કંકર એક ન વાગ્યો ગયાં ભાગ્ય મુજ ફૂટી !
કાજળ કહે આંખોને, આંખો વાત વહે અંસુવનમાં !…
               માધવ ક્યાંય નથી મધુવનમાં !

 

પ્રભુને સર્વ સોંપીને, પ્રભુનું ધાર્યું થાવા દે- SWAMI JAGDISHTIRTH September 7, 2007

Filed under: અન્ય સ્તુતિઓ — dhavalrajgeera @ 2:35 am

પ્રભુને સર્વ સોંપીને, પ્રભુનું ધાર્યું થાવા દે,
પ્રભુની બદનબંસી, પ્રભુને તું બજાવા દે.

પ્રભુના સૂરથી ન્યારો, કરે તું સૂર મમતાનો,
પ્રભુના સૂરમાં તારો, હૃદયનો સૂર મિલાવી દે.

પ્રભુ શિરસ્વામી છે મોટો, પછી શો છે તેને તોટો,
પ્રભુના અંકમાં બેસી, પ્રભુનું ધાર્યું થાવા દે.

પ્રભુના જગતબાજારે, બન્યો સેવક તું વ્યવહારે,
પ્રભુના નામ પર ત્યારે, નફો નુકસાન થાવા દે.

પ્રભુની નાટ્યશાળામાં, બન્યો નરદેહ જ્યારે,
રમાડે ખેલ ખેલાડી, વૃથા શું તું કૂટે ત્યારે ?

બન્યો તું દોઢ-ડહાપણિયો, મધુરા વાક્ય તું બોલે,
કરે વ્યવહાર તું સઘળો, મમત ને હું તણા બોલે.

ચરાચર દેહની બંસી, બજાવનહાર સાચો છે,
નથી તે પારખ્યો પ્રેમે, કસોટીમાં તું કાચો છે.

કહે પ્રારબ્ધિની સત્તા, નથી પ્રારબ્ધ તેં જોયું,
રમે ઈન્દ્રિય ભોગોમાં, અચળમાં ચિત્ત ના પરોવ્યું.

નચાવે ભ્રાંતિઓ તુંને, થયો અભ્યાસનો કેદી,
શરણ જગદીશમાં વૃત્તિ, પછી થાનાર થાવા દે.

સ્વામી જગદીશતીર્થ