પ્રભુનું વિરુદ્ધધર્માશ્રયત્વ
પ્રભુનું સ્વરૂપ વિરૂદ્ધધર્માશ્રયી છે એવો વિચાર ભક્તજનોએ પોતાના હ્રદયમાં અવશ્ય કરવો (એટલે કે ભાવથી કરવો; બુદ્ધિથી નહીં). પ્રભુના વિરુદ્ધધર્માશ્રયનું જો જ્ઞાન ન હોય તો પ્રભુની લીલામાં અસંભાવના અને વિપરીત ભાવના ઉત્પન્ન થાય છે, જેનાથી ભક્તિબીજનો નાશ થાય છે.
અસંભાવના – પ્રભુની લીલામાં અસંભવ, સંદેહ વગેરે જેવું જણાય તે અસંભાવના. દા. ત. : પ્રભુની દામોદરલીલાની વાત સમજો. પ્રભુની કમર નાની અને તે બાંધવાની દોરડી મોટી છે. છતાં તેનાથી કમર ન બંધાય. દોરડી બે આંગળ ટૂંકી પડે. યશોદાજી દોરડી જોડતાં જાય તો પણ બે આંગળ ટૂંકી પડે. એવું બને ખરું ? આમ જે વસ્તુ આપણને અશક્ય લાગે અને પ્રભુની લીલામાં શંકા ઉપજે એનું નામ અસંભાવના.
વિપરીત ભાવના – પ્રભુ માટે કંઈક અયોગ્ય અને વિપરીત જેવું જણાય તેનું નામ વિપરીત ભાવના. દા.ત. : નંદગૃહે દૂધ–માખણની કોઈ ઉણપ નથી છતાં એક સામાન્ય બાળકની જેમ પ્રભુ વ્રજભક્તોના ઘરે ચોરી કરવા પધારે, રંચક માખણ માટે રૂદન કરે, માનાદિ લીલામાં વ્રજભક્તો સમક્ષ દૈન્ય કરે વગેરે પ્રભુ માટે વિચારવું એનું નામ વિપરીત ભાવના.
પ્રભુનું વિરૂદ્ધધર્માશ્રયત્વ :
· બાળક છે છતાં રસિકશિરોમણી છે.
· પોતાને વશ છે તો પણ સદા ભક્તોને વશ છે.
· ભયરહિત છે અને સમગ્ર દેવ–દૈત્યોને ભય ઉત્પન્ન કરે છે છતાં યશોદાજી વગેરે વ્રજભક્તો પાસે ભયભીત છે.
· નિરપેક્ષ છે છતાં ભક્તો સમક્ષ સાપેક્ષ છે.
· ચતુરશિરોમણી છે છતાં ભક્તો સમક્ષ મહામુગ્ધબાળક સમાન લીલા કરે છે.
· સર્વજ્ઞ છે છતાં ભક્તો પાસે અજ્ઞ છે.
· સદા આત્મરામ છે છતાં ગોપીજનોની રતિવર્ધન કરે છે.
· પૂર્ણકામ છે છતાં ભક્તો પાસે કામથી આર્ત બની યાચના કરે છે.
· દીનતારહિત છે છતાં ભક્તોને અનેક પ્રકારના દૈન્ય વચનો કહે છે.
· સ્વયં પ્રકાશિત છે છતાં ભક્તોની સમક્ષ અપ્રકાશિત છે.
· બહાર બિરાજમાન હોવા છતાં ભક્તોના અંત:કરણમાં સદા બિરાજે છે.
· સ્વતંત્ર છે છતાં ભક્તો સમક્ષ પરતંત્ર છે.
· સર્વસામર્થ્યવાન છે છતાં ભક્તો પાસે સામર્થ્યરહિત છે.
આવા વિરૂદ્ધધર્માશ્રયી પુષ્ટિપુરૂષોત્તમ શ્રીકૃષ્ણની શરણભાવના હ્રદયમાં નિરંતર કરવી.
વાચકોના પ્રતિભાવ