પૈસાને બધા ચાહે, પૈસો કોઇને નહીં | |
જીવનમાં શાંતિ અને સ્વસ્થતા મેળવવા પૈસાને નહીં પ્રભુને બિનશરતી પ્રેમ કરો | |
મની અને માનવ – ગૌરવ મશરૂવાળા (જાણીતા ફાઈનાન્શિયલ પ્લાનર)
આપણે બધા પૈસાને પ્રેમ કરીએ છીએ. મોટા ભાગના કિસ્સામાં આપણે પૈસા પાછળ આંધળૂકી દોડ મૂકીએ છીએ. એટલે કે આપણે બધા કોઇ પણ સ્વરૂપમાં અને સ્થિતિમાં નાણાં સ્વીકારીએ છીએ. હકીકતમાં આપણામાંના અનેક લોકો ગેરમાર્ગે પણ નાણાં મેળવવામાં ખચકાતા નથી. નાણાં મેળવવા આપણે ભારે પરિશ્રમ કરીએ છીએ. પરિશ્રમથી જ્યારે નાણાં નથી મળતાં ત્યારે આપણે થોડી વધુ મહેનત કરીએ છીએ. ત્યાર પછી પણ આપણા હાથમાં પૈસો ન આવે ત્યારે આપણે હતાશ અને નિરાશ થઇ જઇએ છીએ અને છેવટે ઇશ્વર સમક્ષ મદદ માટે હાથ લંબાવીએ છીએ. જેની પાસે પૈસો હોય છે તેને સમાજ માનમરતબો આપે છે. કોઇ પણ સ્વરૂપનો આંધળો પ્રેમ, સતત તેની પાછળ જ દોડતા રહેવું અને આપણને તે ન મળે તો પણ જંપીને ન રહેવું તે ખરા પ્રેમની નિશાની છે એ ખરું, પણ આની સામે શું પૈસો આપણને પ્રેમ કરે છે ખરો? સામાન્ય સંજોગોમાં જ્યારે પણ આપણે કોઇને બિનશરતી પ્રેમ કરીએ છીએ ત્યારે, આપણે સ્વર્ગનો આનંદ માણવો જોઇએ. આપણે અંદરથી શાતા અને સ્વસ્થતા અનુભવવી જોઇએ. આપણે જેટલું તે વધારે મેળવીએ એટલી જ વધુ તૃપ્તિ અનુભવવી જોઇએ. પૈસાની બાબતમાં કમનસીબે આપણે આવી લાગણી અનુભવતા નથી. આપણી પાસે પૈસા જેટલા વધુ એટલા જ આપણે આપણી જાતને અસુરક્ષિત અનુભવીએ છીએ. આપણી સંપત્તિની જેમ વૃદ્ધિ થતી જાય છે તેમ તેમ આપણે અસ્વસ્થ થતા જઇએ છીએ. જેમની પાસે આપણાથી વધુ હોય છે તેમનું જોઇને આપણે ઇર્ષા કરતા થઇએ છીએ. આ બધું એટલા માટે થાય છે, કારણ કે આપણે પૈસાને પ્રેમ કરીએ છીએ પણ પૈસો કોઇને નહીં. પૈસામાં એવા કોઇ ગુણ નથી જે પ્રેમ આપી શકે. પૈસો એક એવું ભૌતિક સાધન છે જેને આપણે માનવોએ જ શક્તિ અને સ્થાન આપ્યું છે. હવે આ સ્થિતિને ઇશ્વર સાથે સરખાવો. આપણામાંના મોટા ભાગના લોકો ઇશ્વરને ક્યારેય આંધળો પ્રેમ કરતા નથી. આપણે દરેક ઇશ્વર પાસે અપેક્ષા રાખીએ છીએ. ઇશ્વર માટેનો આપણો પ્રેમ અને શ્રદ્ધા શરતી હોય છે. ક્યારેક આપણી ઇચ્છા પ્રમાણે અને જોઇએ ત્યારે આપણને કંઇ મળતું નથી ત્યારે આપણે ઇશ્વર પર રીતસરના ગુસ્સે થઇ જઇએ છીએ. આપણામાંના અનેક લોકો ઇશ્વર પર શ્રદ્ધા રાખતા નથી અને તેની સાથે સોદા કરે છે. જો તે આપણી કોઇ ચોક્કસ ઇચ્છા પૂરી કરશે તો તેના બદલામાં આપણે તેને કશુંક ચડાવશું. આમ છતાં ઇશ્વર આપણને બિનશરતી પ્રેમ કરે છે. ઇશ્વર હંમેશાં આપણું ધ્યાન રાખે છે અને આપણા હિતમાં જે શ્રેષ્ઠ હોય તે જ કરતો હોય છે. નરસિંહ મહેતા, મીરાબાઇ જેવાં ભક્તોને મોક્ષ મળ્યો, કારણ કે તેમણે ઇશ્વરને બિનશરતી પ્રેમ કર્યો. ઇશ્વર પાસેથી તેમણે કોઇ અપેક્ષા રાખી નહોતી. ઇશ્વરમાં તેમને સંપૂર્ણ શ્રદ્ધા હતી. તેમણે પોતાની જાતને પૂર્ણ રીતે ઇશ્વરને શરણે કરી દીધી હતી. મીરા નાટકમાં એક સરસ વાક્ય હતું. નાટકની હિરોઇન કહે છે કે આપણે જેટલા ઇશ્વરની નજીક જઇએ છીએ એટલો તે પણ આપણી નજીક આવે છે. સામાન્ય રીતે ઇશ્વરને બિનશરતી પ્રેમ કરવાનું પ્રારંભમાં મુશ્કેલ છે, કારણ કે તેમાં એકતરફી પ્રેમ જેવું લાગે છે. આપણે તેની પૂજા કરતા હોવા છતાં તેના તરફથી કોઇ પ્રતિસાદ મળતો નથી. માટે, આપણે જ્યારે પૂજા કરતા હોઇએ છીએ ત્યારે આપણને થોડીક શાંતિ મળે છે. જીવનમાં જો આપણને શાંતિ અને સ્વસ્થતા જોઇતી હોય તો, પૈસાને પ્રેમ કરવાને બદલે આપણે પ્રભુને બિનશરતી પ્રેમ કરવાનું ચાલુ કરી દેવું જોઇએ. પ્રભુ આપણને મદદ કરશે, તમે તેને માત્ર પ્રેમ કરો. ઇશ્વર સાથેના પ્રેમાલાપમાં આપણને સ્વર્ગનું જ સુખ પ્રાપ્ત થશે. આપણે ઇશ્વરને જેટલો વધુ પ્રેમ આપશું એટલી જ ઇર્ષા, અસલામતી અને હતાશા ઓછી અનુભવશું. આપણે બધા પૈસાને પ્રેમ કરીએ છીએ, પણ પૈસો કોઇને નહીં. બીજી બાજુ આપણે બધા ઇશ્વરને શરતી અને અપેક્ષા સાથે પ્રેમ કરીએ છીએ છતાં ઇશ્વર આપણને બિનશરતી પ્રેમ આપે છે. |
Thanks to Abbas Kapasi for the email