વિશ્વધર્મ સંગોષ્ઠિ—ધર્મ સંવાદ !!!!! શ્રી મોરારિબાપુનો સ્તુત્ય પ્રયાસ !!!
——————————————————
મહુવા મુકામે શ્રી મોરારિબાપુએ અલગ અલગ ધર્મના પ્રતિનિધિઓની મંગલમય એકતાનો એક નવો વિચાર વહેતો કરવાનો સંનિષ્ઠ પ્રયાસ હાથ ધર્યો છે. કદાચ આ પ્રયાસ સૌ પ્રથમ વાર આપણા દેશમાં થઈ રહ્યો છે.અને તે માટે શ્રી મોરારિબાપુને લાખલાખ ધન્યવાદ. આ પ્રયાસ આપણાં દેશમાં આવનારા સમયમાં કોમી એકતા સ્વરૂપે પ્રગટે અને કોમ કોમ વચ્ચેના વિખવાદ અને વૈમનસ્ય ખત્મ કરશે તેવી આશા રાખવી અસ્થાને નહિ ગણાય્ આ સંવાદ વખતે મોરારિબાપુએ કદાચ સાચું જ કહ્યુ કે અમે તો બીજ ફેંકી રહ્યા છીએ પછી તો વાદળ જાણે અને વસુંધરા ખરી વાત છે આમ જોવા જઈએ તો આવો પ્રયાસ આજ સુધી કોઈ એ પણ કર્યો જાણ્યો નથી. આ તદન મૌલિક વિચાર છે અને તેને વહેતો કરવા એવી પ્રતિભા અને શક્તિ જો સાથે સંયુકત રીતે પ્રયાસ કરે ત્યારે સફળતા મળવી ભલે મુશ્કેલ જણાતી હોય પણ અસંભવ તો નથી જ અને મોરારિબાપુમાં આ બને સાથે છે તેમાં કોઈને પણ શક નથી.>
*** મહુવા જેવા નાના શહેરમાં અનેક ધાર્મિક અને આધ્યાત્મિક હસ્તીઓને અમુક ચોક્કસ સમય ગાળામાં એકઠી કરવા માટે તમામ પાસેથી સહમતિ મેળવવી અને તેમની રહેવાની-ખાવા-પીવાની અને સલામતિની આયોજન બધ્ધ વ્યવસ્થા કરવી તે અત્યંત મુશ્કેલ જ નહિ પણ ખર્ચાળ પણ બની રહે જ્ તમામ ધર્મના વડાને એકજ મંચ ઉપર લાવવા અને પ્રશ્નોતરીમાં જવાબો પણ મેળવવા અત્યંત કઠિન હોવા છતાં મોરારિબાપુ તે કરી/કરાવી શક્યા તે માટે ફરી એકવાર લાખ લાખ ધન્યવાદ્!!!
*** બીજી એક વાત બાપુ એમ કહી ના છ્ટકી જઈ શકે કે અમે તો બી ફેંકયું છે અને હવે વાદળ જાણે અને વસુંધરા. જે બી ફેકેં તે બી ફાલે ફૂલે અને વટ વૃક્ષ બને તે માટે જરૂરી પાણી અને ખાતર ઉપરાંત નાની માટી જીવાતો અને જનાવરોથી રક્ષણ પણ કરવું જ રહે અને તે ઉતરદાયિત્વ નીભાવવુ જ રહે. અને તે માટે આવા પ્રયાસો માત્ર એકજ વારના ના બની રહે અને અવાર-નવાર આવા સંવાદોનું આયોજન થયા કરે તો એક દિવસ એવો જરૂર ઉગશે કે જ્યારે ધાર્મિક કટ્ટરતાની નિર્ર્થકતા આપોઆપ સમજાશે અને એક સુમેળ ભર્યું વાતાવરણ સમ્રગ દેશમાં પ્રસ્થાપિત થશે.
*** હું તો એક સામાન્ય માનવી છું. મેં કોઈ વેદ-ઉપનિષદ કે શાસ્ત્રો વાંચ્યા નથી. ગીતા કે શ્રીમદભાગવત કે રામાયણ કે મહાભારત પણ એટલાં ઉંડાણ પૂર્વક વાંચ્યા નથી કે અભ્યાસ પણ કર્યો નથી. હાઅલબત મને વાંચવાનો શોખ છે અને જે કાંઈ વાંચુ કે સાંભળુ તે સ્વીકારતા પહેલા મનોમન દ્વંધ કરવાની આદત છે. કોણ જાણે કેમ મને ચીલા ચાલુ અર્થ સ્વીકારી લેવાની આદત નથી અને એટ્લે મનોમન મનમાં ઉઠેલી શંકાઓનું સમાધાન કરવાની એક અનિવાર્ય આદત જાણ્યે-અજાણ્યે કેળવી બેઠો છું. અને એટ્લે આ તબક્કે મારાં મનમાં લાંબા સમય થયા ઉદભવતા કેટ્લાક પ્રશ્નો મોરારિબાપુને પૂછવાની લાલચ રોકી શક્તો નથી.. હું જાણું છું કે હું વાઘના મોઢામાં માથું નાખી રહ્યો છું.કારણ કે હું તો નથી કોઈ વિષયનો અભ્યાસુ- લેખક -સાહિત્યકાર્ કે ચિંતક હું તો માત્ર કાંઠે બેઠેલો છ્બછબીઆ કરનારો સામાન્ય માનવી છું.
( 1 )મારો પ્રથમ પ્રશ્ન આમ તો તદન સામાન્ય કક્ષાનો છે. મારાં ધારવા પ્રમાણે આપણાં દેશમાં છેલ્લા 20-25 વર્ષમાં ઠેર ઠેર કાં તો ભાગવત કથા-રામાયણ- ગીતા ઉપરના વ્યાખ્યાનો અને બીજા અનેક ધાર્મિક ગ્રંથોના વ્યાખ્યાનો યોજાયા છે અને આ વ્યાખ્યાનો સાંભળવા જે તે પ્રદેશની માનવ મેદની હજારોમાં નહિ પણ લાખોમાં ઉમટટી આપણે જોઈ છે. અરે ! ક્યારે ક તો એમ લાગે છે કે આ દેશમાં ધાર્મિકતા અને આધ્યાત્મિકતાનું સુનામી જેવા મોજા ઉછ્ળતા હોય તેવો ભાસ થતો રહે છે. તેમ છતાં કોઈના પણ વર્તનમાં કોઈ પ્રકારનુ આમૂલ પરિવર્તન આવેલુ જણાતું નથી. નર્યો દંભ અને પાખંડ વધ્યા જણાય છે. અરે ! અપ્રમાણિકતા ભ્રષ્ટાચાર લાંચ્-રુશ્વત ચારિત્ર્યહિનતા ,બળાત્કાર ,લુંટફાટ ,ખાધ્યચીજોમાં ભેળસેળ અને અનેક પ્રકારની ગુન્હાહિત પ્રવૃતિઓ વધી છે. જાણે એનું પણ સુનામી જ ઉછળી રહ્યું છે.આમ કેમ થાય છે ?
( 2 ) લગભગ તમામ સંપ્રદાયોના આશ્રમો અને તેના વડાઓનો વૈભવ અને ઠાઠ માઠ 5-7 સ્ટાર હોટેલોથી પણ ચડિયાતો હોય છે. તો આવી આવક ક્યાંથી અને કોની પાસેથી કઈ પ્રવૃતિમાં થી આવતી હશે ?
( 3 ) સંપ્રદાયોના વડાઓને વિદેશમાં જવાની અને એનઆરઆઈ અનુયાયીઓ મેળવવાની ભયંકર લાલસા હોય છે અને તે દિન પ્રતિ દિન વધતી રહે છે.
( 4 ) પારવગરની મંદિરોની અને આશ્રમોની વધતી જતી આમદાની અને સંપત્તિ અનિવાર્ય રીતે અનેક દૂષણો લાવે છે. કોઈ કોઈ વાર સંતોની હત્યા સુધી પણ આ સંપત્તિ અને સ્થાન મેળવવાની લાલચ થતી આપણે જોઈએ છીએ અને સમાચાર પત્રોમાં વાંચીએ છીએ. આવા સંપ્રદાયોના આશ્રમોમાં અને મંદિરોમાં માત્ર ધનિકોને જ આગવા સ્થાન મળતા પણ જોઈ શકાય છે જ્યારે સામાન્ય વર્ગમાંથી આવતા ખરેખરા શ્રધ્ધાળુ કર્મનિષ્ઠ અને આધ્યત્મિક ભક્તોને ઠોકરે દેવાતા હોય છે.
*** હું ધારું છું કે બાપુના મનમાં પણ આવા પ્રશ્નો ઉદભવતા હશે અને તેના જવાબ મેળવવા કોશિશ પણ કરતા જ હશે. મને ક્યારેક એવો વિકૃત વિચાર આવી જાય છે કે આ કથાઓ-વ્યાખ્યાનો-પ્રવચનો અને આવા બધા દુષણો એક જ સીક્કાની બીજી બાજુ તો નથીને ?
*** જેમ આવા કથા-વ્યાખ્યાનો અને પ્રવચનો વધ્યા છે તેજ રીતે મંદિરો અને સંપ્રદાયો પણ બિલાડીના ટોપની જેમ વધી રહ્યા છે. એક અંદાજ પ્રમાણે આપણાં દેશમાં 45 લાખ મંદિરો છે અને જેમાં અનેક જ્ઞાતિ કે પરિવારના કુલદેવતા- કુળદેવી-સુરાપોરા કે અદા માબાપને નામે ઓળખાતા મંદિરોનો સમાવેશ નથી થતો. એજ રીતે અંદાજે 25000થી પણ વધુ સંપ્રદાયો છે અને તેની સંખ્યા પણ વધતી જે રહે છે. આમ છેવટ ના આદમી સુધી આપણે ધર્મને નામે વિભાજીત છીએ અને વધુ વિભાજીત થતા રહીએ તેવી તમામ કોશિશો માત્ર રાજકારણીઓ જ નહિ પણ સંપ્રદાયના વડા પણ કરતાજ રહે છે. અને આ અબુધ અને અભણ અને અતિ ધાર્મિક અને અંધશ્રધ્ધાળુ પ્રજા આનો જાણ્યે-અજાણ્યે ભોગ બની રહી છે. શું આ વિભાજન થતું અટકાવવા માટે આ જ પ્રકારની ગોષ્ઠિ મંદિરોના વડા અને સંપ્રદાયોના વડાની ના યોજી શકાય ? જોકે આપણા દેશનો ઈતિહાસ તપાસીએ તો વિભાજન એ જાણે આપણી પ્રકૃતિ કે ચારિત્ર્ય જણાશે. સામાન્ય મત પ્રમાણે લોકોને વિભાજિત રાખવામાં કે કરવામાં રાજકારણીઓને વધારે રસ હોય તેવી એક માન્યતા છે પણ તે કરતા પણ મને તો સંપ્રદાયોના વડા વધારે સક્રિય હોય તેમ જણાય છે
*** ઉદાહરણ તરીકે છેલ્લા કેટ્લાક વર્ષથી સંપ્રદાયો વચ્ચે અનૂયાયીઓ મેળવવા ગળાકાપ હરિફાઈ થઈ રહેલી આપણે જોઈ રહ્યા છીએ. આ કહેવાતા કોઈ પણ ધર્મ હિન્દુ હોય કે જૈન પણ આ તત્વ બધામાં સામાન્ય જણાય રહ્યું છે. અને એટ્લેજ એક વ્યક્તિ જ્યારે બીજી કોઈ વ્યકતિને મળે કે ફોન કરે ત્યારે વાતની શરૂઆત કરતા પહેલા અને પછી જે તે સંપ્રદાયના વડાએ આપેલી સુચના પ્રમાણે “જય શ્રી કૃષ્ણ “,”જય યોગેશ્વર”,” જય સ્વામિનારાયણ” ,”જય જિનેન્દ્ર “,”નમો નારાયણ”,”જય ભગવાન”, “બાપા સીતારામ ” કે એવાજ અન્ય સુત્રોનું ઉચ્ચારણ કરી બાદ જ વાત કરવાની શરૂઆત થતી હોય છે. આ ઉચ્ચારણોથી જે તે વ્યકતિ ક્યા સંપ્રદાયની છે તે ઓળખ છતી થતી રહે છે. પરિણામે આ અંધશ્રધ્ધાળુ અનુયાયીઓ વિવેક બુધ્ધિ વગર ઈશ્વરનું નામ ગમે ત્યારે ગમે ત્યાં લેતા થતા રહે છે અને કેટ્લીક વાર તો હાસ્યાસ્પદ બની રહેતા હોય છે !
*** આ તબક્કે મને એક પ્રસંગ યાદ આવે છે હું મારા એક સગાના મૃત્યુ બાદ વંચાવવામાં આવતી ગીતા અન્ય લોકો સાથે સાંભળી રહ્યો હતો ત્યારે ગીતા વાંચનાર મારાજે એકવેપારીનુ ઉદાહરણ આપ્યું અને તેના અંતમા કહ્યું કે આવા સટ્ટાકીય કારણોથી આખરે તે વેપારીનુ જે શ્રી કૃષ્ણ( ઉઠમણું/દેવાળુ) થઈ ગયું !! તમામ શ્રોતાઓએ આ સાંભળી ખડ ખડાટ હાસ્ય કર્યું. પરંતુ મારાથી આ સહન નહિ થતાં મે મારાજને આગળ કથા કહેતા અટકાવી પૂછ્યું કે આપ જેશ્રીકૃષ્ણ થઈ ગયું તે કયા સંદર્ભમાં કહો છે એની આપને સમજ છે ખરી ? અને કૃષ્ણ કોણ હતા અને આ સૌ શ્રોતાઓ ના એ આરાધ્ય દેવ છે તે આપ જાણૉ છો ?એટ્લું જ નહિ આપ કોઈનું ઉઠમણું/દેવાળુ નીકળે તેને જેશ્રી કૃષ્ણ થઈ ગયું કહો છો મને તમારી દયા આવે છે કે તમે કથાકારને પણ એટ્લી સમજ નથી કે કૃષ્ણ જેવી વ્યકતિનું નામ એટ્લું સસ્તું કે હલકું નથી જ નથી કે તે ગમે તે સંદર્ભમાં અને ગમે ત્યારે ગમે તે જગ્યાએ લઈ શકાય્. મારાજે બહુજ ભોંઠ્પ અનુભવી અને શ્રોતાઓની માફી માંગતા વચન પણ આપ્યું કે હવે પછી તેઓ આ બાબત બરાબર ધ્યાન રાખશે અને અન્ય કથાકારને પણ આ વિષે સુચના અને સલાહ આપશે. આ વિષે ધ્યાન દોરવા મારો આભાર પણ માન્યો.
*** આવો જે એક પ્રસંગ હમણાં જ બન્યો જેમાં કથાકાર ગીતા વાંચતા અર્જુનને સંબોધી ભગવાન કૃષ્ણ જે કહે છે તે સાંભળનાર શ્રોતાઓ કદાચ એમ સમજે છે કેગીતામાં કહેવાતી ઉપદેશાતમ્ક અને સલાહ્-સુચનો ભરેલી તમામ બાબતો તો અર્જુનને સંબોધી કહેવાઈ હોય તે અર્જુને અમલમાં મુકવાની રહેલી હોઈ આપણે ગ્રહણ કરવાની કોઈ જરૂરિયાત નથી.
*** આ સંપ્રદાયોની હરિફાઈ તેના કહેવાતા સંતો કઈ કઈ રીતે સામાન્ય લોકોના અજ્ઞાન અને ભોળપણ અને શ્રધ્ધાનો ગેર-ઉપયોગ કરી રહ્યા છે તે બાપુથી અજાણ્યું ના જ હોઈ શકે.મારી સમજ પ્રમાણે આમ થાય છે કારણ કે સંપ્રદાયના વડાઓ અત્યંત મહત્વાકાંક્ષી અને લાલચુ બની રહ્યા છે.પોતાની વ્યકતિગત કીર્તિ માટે તે ગમે તે કરવા તત્પર બને છે. અને આપણે અવારનવાર સમાચારો વાંચીએ છીએ કે સંપ્રદાય ઉપર પ્રભુત્વ મેળવવા જે તે વડાની તેના જ શિષ્યોએ હત્યા કરાવી નાખી. કે સંપત્તિ માટે અદાલતમાં કેસો કરવામાં આવી રહ્યા છે અને જો તેમાં નિષ્ફળતા મળે તો જે તે શિષ્યો પોતાનો નવો સંપ્રદાય સ્થાપે છે અને અનુયાયીઓને ગેર માર્ગે દોરી પોતાના પંથમાં ભેળવવા જનુન પુર્વક મચી રહે છે.
*** મંદિરો અને સંપ્રદાયોની મિલક્તો અબજો રૂપિયા થવા જાય છે અને તે મેળવવાની સ્પર્ધા થતીજ રહે છે. અરે વાર્ષિક આમદાની પણ કોઈ કોર્પોરેટ કંપની કરતાં અનેક ગણી વધારે હોવાથી કોઈ પણ આવી મિલકતો કે જે મેળવવા કોઈએ કોઈ પ્રકારની મહેનત કરી નથી અને ભવિષ્યમાં પણ કરવાની રહેતી નથી તે આમ સહેલાઈ થી મળી જતી હોય તો તે માટે અનુયાયીઓને જ અંદરોઅંદર લડાવી શા માટે ના મેળવી લેવી તેવી વૃતિ સંપ્રદાયોના શિષ્યમાં દિન પ્રતિ દિન વધી રહી જણાય છે.
*** વધુમાં આ રીતે દાનમાં મળતી રકમ દાન કરનાર પોતાની કઈ અને કેવી પ્રવૃતિમાંથી મેળવી દાનમાં આપે છે તે પણ ચકાસવાની આ દાન મેળવનાર સંપ્રદાય કે મંદિર ક્યારે ય જરૂરિયાત ગણતો નથી અને પરિણામે અનીતિ અને અનૈતિક પ્રવૃતિમાંથી મેળવેલ આવક આવા કહેવાતા દાનેશ્વરીઓ પોતાની કીર્તિ વધારવા આપતા રહેતા હોય છે. અને બાદમાં પોતાના ધંધા-ઉધ્યોગ માટે આ વગનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ આવી અનીતિ અને અનૈતિક પ્રવૃતિમાથી મેળવાયેલી કોઈ રકમ ભલે તે વ્યાખ્યાન કે પ્રવચન માટે વપરાતી હોય પણ તેની કોઈ અસર શ્રોતાઓ ઉપર થતી હોતી નથી. અને એટલે જ આવા પ્રવચનો કે વ્યાખ્યાનો બાદ શ્રોતાઓ કોરા-ધાકોળ જ રહે છે.
*** રાજકીય પક્ષો સતા મેળવવા લોકોને ભરમાવી વિભાજીત કરતા રહે તે તો સમજી શકાય તેવી બાબત છે પરંતુ જ્યારે આવા ધાર્મિકતા અને આધ્યાત્મિકતાનાં આંચળા હેઠળ આવા પોતાની જાતને ધાર્મિક વડા તરીકે ઓળખાવતા આ સંતો સમાજનું શું કલ્યાણ કે ભલું કરી રહ્યા છે તે સમજી શકાય તેમ ના હોય તેમને ઉઘાડા પાડી લોકોને આવા લેભાગુ તત્વોથી રક્ષણ આપી અને બચાવવા જરૂરી લાગે છે અને તે માટે બાપુ જેવી હસ્તી જ આવું ભગીરથ કાર્ય સમાજના સમગ્ર હિત અને કલ્યાણ માટે હાથ ઉપર લઈ યોગ્ય દોરવણી આપી શકે તેમ હું મક્ક્મ રીતે માનુ છું.
*** સમગ્ર દેશમાં રહેલા તમામ સંપ્રદાયોનું એક મંચ ઉપર એકત્રિત થવાનું આ પહેલા ક્યારેય નહિ હતું તેટ્લુ મારા મતે અનિવાર્ય જણાય છે કારણ કે આ તકવાદી અત્યંત લાલચુ અને અપ્રમાણિક અને સ્વાર્થી શાસકો સામે જો કોઈ પરિબળ સંયુકત રીતે અવાજ ઉંચો કરી શકે તો તે માત્ર આ આધ્યાત્મિક અને ધાર્મિક સંપ્રદાયો જ છે.
*** સંપ્રદાયો રાત્રે ના વધે તેટ્લા દિવસે વધે છે અને દિવસે ના વધે તેટ્લા રાત્રે વધતા રહે છે તેના કારણમાં તો આ કહેવાતા આધ્યાત્મિક સંતોમાં રહેલો અહંકાર અને કીર્તિની ભૂખ અને સહેલાઈથી મળતી સંપત્તિ જ મુખ્ય હોય છે. આ સંતો અને વડાઓ અત્યંત મહત્વાકાંક્ષી માલુમ પડે છે અને તેમના જ્ઞાનનો ભયંકર અહંમ ધરાવનારા હોઈ નાના મતભેદો પણ સહન કરી શકતા ના હોય પોતાનો વાડો અલગ કરતા રહે છે અને અનુયાયીઓને પણ વિભાજીત કરતા રહે છે. આ કોઈ પણ સંજોગામાં અટકાવી શકાય તો જ સામાન્ય લોકોમાં અવિભાજ્ય એકતા સર્જી શકાય અને તો જ સર્વ ધર્મ સમભાવ માટે યોજેલા સંવાદની સિધ્ધિ પ્રાપ્ત થાય તેમ મારુ દ્રધ રીતે માનવું છે. કારણ જો આપણાં પોતા વચ્ચેજ સંપ્રદાયોની( એકજ હિન્દુ ધર્મ હોવા છતાં ) હરિફાઈ અને એક બીજાના ટાંટિયા ખેંચ ચાલી રહ્યા હોય તો આપણે કયા મોઢે અન્ય ધર્મના વડાઓને સમભાવ રાખવા સમજાવી શકીએ ??
*** સંપ્રદાયો વચ્ચે એકતા સિધ્ધ કરવા આપણા ગુજરાતમાં રહેલા અને લગભગ આવા જ વિચારો ધરાવનાર શ્રી સ્વામિ સચ્ચિદાનંદ, સુપ્રસિધ્ધ વિચારક અને ચિંતક સર્વશ્રી ગુણવંત શાહ ,નગીનદાસ સંઘવી ,મોહમ્મ્દ માંકડ ,કાંતિ ભટ્ટ ,વર્ષા અડાલજા યુવાનોના પ્રતિનિધિ જય વસાવડા ,કાજલ ઓઝા-વૈધ અને બીજા અનેક લેખકો અને સાહિત્યકારો અને ચિતકો અને સમાન વિચાર ધરાવનાર અમારા જેવા સામાન્ય નાગરિકોનો સહયોગ મેળવી શકાય અને આ કામ મોરારિબાપુ સિવાય કોઈ ના કરી શકે તેમ મારું દ્રધ માનવું છે.
*** બાપુએ જે વિચાર વિશ્વ ધર્મ સંગોષ્ઠિ અને ધર્મ સંવાદ માટે વહેતો કર્યો છે તે જ રીતે આ વિચાર પણ જો જોર શોરથી અને લબ્ધ પ્રતિષ્ઠિત સાધુ-સાહિત્યકારો-ચિંતકો-લેખકો સામુહિક રીતે વહેતો કરશે તો હું તો માનું છું કે આપણા દેશ ઉપર મોટો ઉપકાર થશે કારણ આ પ્રયાસથી વધતુ જતું વિભાજન તો ચોકકસ અટકશે અને આવનારા દિવસોમાંઆપણી એકતા અતૂટ મજ્બૂત અને દ્રધ બનશે. આવનારા દિવસોની એજ માંગ છે. અને આ એકતા જ આપણાં શાસકોની શાન પણ ઠેકાણે લાવશે.
*** મોરારિબાપુ મારા આ વિચારો કદાચ આપને યોગ્ય ના જણાય્ અને આપની લાગણી જાણ્યે અજાણ્યે મારાથી દુભાઈ હોય તો તો મને ઉદાર દિલે માફ કરવા વિનંતિ કરું છું.
*** અંતમાં ફરી એક્વાર મોરારિબાપુને એક તદન નવો વિચાર વહેતો કરવા લાખ લાખ ધન્યવાદ અને મને શ્રધ્ધા છે કે આપના આ પ્રયાસને આવનારા દિવસોમાં અવશ્ય સફળતા પ્રાપ્ત થશે જ.
વિશેષ નોંધ- અભિયાન સાપ્તાહિકના 24/01/2009ના અંકમા આપની આ વિચાર ગોષ્ઠિ વિષે એક ડાયરી પ્રસિધ્ધ થઈ છે. જેમાં છેલ્લો કટોરો ના મથાળા હેઠળ એક મરેલું કૂતરું આ ગોષ્ઠિના સ્થળે પહોંચવાના માર્ગ ઉપર સતત ત્રણે દિવસ જેમ હતું તેમ જ પડ્યું રહેલ અને તે વિષે કદાચ કોઈએ દરકાર નહિ કરેલી તેવો ઉલ્લેખ છે. અને ડાયરી લખનાર શ્રી હિમત કાતરિયાએ વેધક અને અણિયાળો સવાલ કર્યો છે કે ધર્મસંવાદમાં એક્ઠા થયેલા ધર્માચાર્યો આ દુર્ગંધ મારતા કૂતરાના મૃત દેહને ત્રણ દિવસમાં હઠાવી લેવાની કોઈ ચેષ્ટા ના કરી શક્યા હોય તો વૈશ્વિક સિમ્ફ્ની સર્જવાની વાતો કેમ કરે છે ? કેમ સાંભળે છે ?
*** આપણાં મંદિરો અને કથાના સ્થળો ગંદ્કી ગિર્દી અને ઘોંઘાટથી ભરપુર રહેતા હોય છે. આ ગંદ્કી > ગિર્દી અને ઘોંઘાટથી લોકો એટ્લી હદે ટેવાઈ ગયેલા છે કે અમુક પ્રકારની ગંદ્કી ગિર્દી અને ઘોંઘાટ તેમને કોઈ પ્રકારની ખલેલ પહોંચાડતી નથી. આ વિષે આપ સૌએ વિશેષ ધ્યાન આપી લોકોને કેળવવાનું અભિયાન હાથ ધરવું આવશ્યક નથી લાગતું ? કારણ હું સમજું ત્યાં સુધી આપના જેવી વિભૂતિઓ તરફથી આવી ગંદકી ગિર્દી અને ઘોંઘાટ બંધ કરવાનો આદેશ નહિ મળે ત્યાં સુધી લોકો તેનું યોગ્ય પાલન કરવાના નથી જ . માટે આપ જેવા સૌએ સંયુકત રીતે એક આદેશ પ્રસિધ્ધ કરવો જોઈએ એમ મારું માનવું છેં
5 Comments »
khoob j saras prayas.
A good try for society and religion matter. This kind of discussion is necessary for healthy society.
Thank you.
Comment by Mehul Trivedi — January 28, 2009 @ 8:46 am
vah kaka,
Khubaj saras mane hatu j ke aaje aa blog par kaik navu vachva malse tame khubaj saras lakhyu che ane lakhta pan rejo. ane 1 vat mare puchvi hato ke shu aa blog ke tenu aa lakhan morari bapu a vachyu che? pls kejo ho.
Comment by TEJAS PATEL — January 28, 2009 @ 10:31 am
હા ભાઈ તેજસ આ લેખની નકલ મોરારિ બાપુ-સ્વામિ સચ્ચિદાનંદ્-ગુંણવંત શાહ્-નગીનદાસ સંઘવી-જય વસાવડાને મોક્લી આપી છે અને તેઓના પ્રતિભાવની રાહ જોઈ રહ્યો છું. આવશે તો આપને ચોક્કસ જણાવીશ્ આભાર્.
Comment by arvindadalja — January 28, 2009 @ 5:08 pm
આ લેખની એક નકલ શ્રી સ્વામી સચ્ચિદાનંદજીને ટપાલમાં મોક્લેલી તેઓશ્રીએ ટ્પાલથી મને જવાબ લખ્યો છે જે મને આજે મળેલ હોય મારા બ્લોગની મુલાકાતીઓના લાભાર્થે અહિ શબ્દશ: રજૂ કરેલ છે.
“Swami Sacchidanand,Dantali-Petlad. Dist.Anand Gujarat 388450.”
12/02/09
‘”ભાઈશ્રી અરવિદ ભાઈ
હરિ સ્મરણ
પત્ર વાંચી આનંદ થયો.હું મહુવા આવ્યો નહિ હતો. પણ ટીવી અને સમાચાર પત્રોથી સમાચાર જાણ્યા હતા.
ધાર્મિક એકતા અત્યંત જરૂરી અને મહત્વની બાબત છે. પણ મારી દ્રષ્ટિએ તેના ત્રણ ભેદ છે.
1. બાજરી-જુવાર-મકાઈ જેવી આ બધું એક સાથે વાવ્યું હોય તો બધું ઉગે અને સાથે રહે.
2. યાત્રાળુઓના સંઘ જેવી. જેમાં સૌ શક્તિ પ્રમાણે આગળ-પાછળ ચાલતા હોય છે.
3. બાજરી અને ખડ-નીંદામણ જેવી. જેમાં ખડ જોત જોતામાં એટલું વધી જાય છે કે બાજરી સમાપ્ત થઈ જાય છે.
આ ત્રીજો પ્રકાર ખતરનાક છે. ખડે કશું જ કરવાનું નથી માત્ર સમય જ પસાર કરવાનો છે.ખડ સાથેની એકતા બાજરી માટે આત્મ વિનાશક થઈ શકે છે.
સૌએ વિચારવું હિતાવહ છે.
સચ્ચિદાનંદ”
મારા લેખમાં ઉલ્લેખ કરેલા અને જેમના પોસ્ટલ શરનામાં મને મળ્યા અને જેમની ઈ-મેલ આઈ ડી મળેલી તે સૌને આ લેખની નકલ મેં મોક્લેલી હતી તેમાંથી સૌ પ્રથમ સ્વામીજીએ પ્રતિભાવ મોકલી આપ્યો છે. આજ મને ખૂબ આનંદ છે કે સ્વામીજી પોતાના અત્યંત વ્યસત સમયમાંથી પણ થોડો સમય ફાળવી મારા જેવા એક સામાન્ય વિચારકને પ્રતિભાવ લખે જે માટે હું સ્વામીજીનો ઋણી છં અને મારી કૃતજ્ઞતા વ્યકત કરુ છું. કાશ અન્ય આદરણીય તત્ત્વ ચિંતકો અને લેખકો અને સાહિત્યકારો પણ આવો સીલ સીલો અપનાવી મને પ્રત્યુતર આપે તેવી મારી અંતરની ઈચ્છા છે.
Comment by arvindadalja — February 14, 2009 @ 8:59 am
Dear Arvindbhai,
You are working to correct the issues.e.g world relegion, Duty of a man, Duty of the society How they live in Harmony and peace?
there are achar-Sanhita.
Like your blog, Tulsidal wish to put this publication with thanks and with your name….see what Gujarati readers – Surfers has to say.
Regards
Rajendra
Comment by Rajendra Trivedi, M.D. — February 20, 2009 @ 12:26 pm
Tulsidal wants to thank Attorny Arvind Adalja.
Surfers and readers on Tulsidal are welcome to send their views.
Editor
Tulsidal
સ્વામી સચ્ચિદાનંદ આદરણીય સંત છે. તેઓ પણ આશ્રમો ચલાવે છે. લોકોને ઉપદેશ આપે છે. તેમની ક્રાંતિકારી વિચારસરણી માટે જાણીતા છે. સ્પષ્ટ વક્તા છે અને અંધશ્રદ્ધાના વિરોધી પણ છે. હિન્દુ ધર્મ અને હિન્દુત્વના કસ્ટોડિયન બની બેઠેલા કેટલાક સંતોના પણ તેઓ વિરોધી છે. સમાજ સુધારક પણ છે.પરંતુ સચ્ચિદાનંદ સ્વામીનું આ જેમ એક પાસું છે તેમ તેમનું બીજું પણ એક પાસું છે. પહેલી વાત તો એ કે, તેમની વિચારસરણી ‘ખંડનાત્મક’ છે. તેઓ જે કાંઈ બોલે છે તે વિચારો તેમના મૌલિક નથી.
આપના પ્રતિભાવ માટે આભર્ આપનો પ્રતિભાવ મારા વિચારો માટે મૌન સેવે છે અને સ્વામી સચ્ચિદાનંદ વિષે જણાવે છે તે કંઈ બરાબર નથી જણાયું તો તે માટે માફ કરશો. આપે મૂળ લેખને બદ્લે તે ઉપર આવેલા પ્રતિભાવ ઉપર પ્રતિભાવ આપવાનું કેમ પસંદ કર્યું ? આપના પ્રતિભાવ ઉપરથી જાણ્યે-અજાણ્યે એમ માનવાનું મન થઈ આવે છે કે સચ્ચિદાનંદજી માટે કદાચ આપના મનના કોઈ ખૂણામાં પૂર્વગ્રહ પડ્યો હોવો જોઈએ. આપે એક એવું નિવેદન કર્યું છે કે સ્વામીજીના વિચારો મૌલિક નથી. તો કોના છે ?
સ્વામીજીને રાજકારણીઓની જેમ કોઈ પ્રવચન./વ્યાખ્યાન લખી આપે છે ? મેં સ્વામીજીના કેટ્લાક પુસ્તકો અને અખબારોમાં અવાર-નવાર પ્રશિધ્ધ થતાં તેમના લેખો વાંચ્યા છે અને વાંચતો રહુ છું. અને મને તેમના ક્રાંતિકારી વિચારોએ જ આકર્ષ્યો છે. મેં તેમનો આશ્રમ જોયો નથી કે તેમ્નો કે અબ્ય કોઈ સંપ્રદાયનો નથી અનુયાયી કે નથી બાંધી કોઈની કંઠી. મારાં વિચારો મારાં પોતાના હોય છે હું કોઈનો દોરવાયો કંઈ કરતો નથી જે આપની જાણ ખાતર્ ઉપરોક્ત લેખમાં પણ મેં જે કંઈ લખ્યું છે તે મારા પોતના સ્વતંત્ર વિચારોની નીપજ છે. એ વિષે આપના પ્રતિભાવની મને ઉત્સુકતા રહેશે.આ ઉપરાંત કોલ્હાપુરમાં યોજાય ગયેલા વિશ્વ શાતિ અર્થેના યજ્ઞ ઉપર પણ મેં મારાં વિચારો મારા બ્લોગ ઉપર મૂકેલા છે. આપને સમય અને અનૂકુલતા હોય તો તે લેખ પણ જરૂર જોઈ જશો અને આપનો પ્રતિભાવ જણાવશો.
જાણ્યે-અજાણ્યે આપની લાગણી દુભાવાય ગઈ હોય તો ઉદાર દિલે ક્ષમા કરશો.
આભાર્ આવજો.
સ-સ્નેહ
અરવિંદ